કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી. માત્ર કટોકટી એક કાળો અધ્યાય હતી એટલું કહેવું પૂરતું નથી, પણ તેના પાઠોને સંપૂર્ણપણે સમજવાં પણ જરૂરી છે.”
સંજય ગાંધીના નસબંધી અભિયાન પર ઉઠાવ્યા પ્રશ્નો
થરૂરે સ્પષ્ટ જણાવ્યું કે, “ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા બળજબરીથી ચલાવાયેલું નસબંધી અભિયાન એ કટોકટીની ક્રૂરતાનું ઉદાહરણ છે.” તેમણે વધુમાં લખ્યું કે, “ગ્રામીણ વિસ્તારોમાં લક્ષ્યાંક પૂરાં કરવા માટે બળપ્રયોગ થયો હતો, જ્યારે નવી દિલ્હી જેવા શહેરોમાં ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી અને હજારો લોકો બેઘર થયા. તેમનું કોઈ પુનર્વસન કે કલ્યાણ થયું નહીં.”
લોકશાહી મહત્વનું વારસો છે
થરૂરે જણાવ્યું કે, “લોકશાહી એ હળવાશથી લેવાની વસ્તુ નથી. તે એક અમૂલ્ય વારસો છે જેને પોષવામાં અને રક્ષવામાં નાગરિકોની પણ જવાબદારી છે.” તેમણે જણાવ્યું કે, “આજનું ભારત 1975ના ભારત કરતાં વધુ આત્મવિશ્વાસુ, વધુ વિકસિત અને મજબૂત લોકશાહી ધરાવતું દેશ છે. છતાં પણ, કટોકટીના પાઠો આજે પણ ચિંતાજનક રીતે લાગુ પડે છે.”
આ પહેલીવાર નથી જ્યારે શશી થરૂરે પીએમ મોદી અથવા તેમની નીતિઓ અંગે નરમ અભિગમ અપનાવ્યો હોય. અનેક પ્રસંગોએ તેમણે સરકારની નીતિ અથવા વિકાસલક્ષી પગલાંની પણ વખાણ કરી છે – જેને લઇને કોંગ્રેસમાં આંતરિક ચર્ચા સર્જાતી રહી છે.

Leave a Reply