મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક પરીક્ષા દરમિયાન ઘટના બની છે, જેમાં IAS અધિકારી સંજીવ શ્રીવાસ્તવે એક વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના 1 એપ્રિલે ભિંડના દિનદયાળ ડંગરોલિયા મહાવિદ્યાલયમાં B.Sc બીજા વર્ષની ગણિતની પરીક્ષા દરમિયાન બની હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વિદ્યાર્થી પર ચીટિંગનો આરોપ
કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે તપાસ દરમિયાન એક વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્ર ન મળતાં તેની પર ચોરીનો આરોપ મૂક્યો અને તેને સતત લાફા ઝીંક્યા. વીડિયોમાં તેઓ વિદ્યાર્થીને બેન્ચ પરથી ઉભો કરીને પૂછે છે “તારૂ પ્રશ્નપત્ર ક્યાં છે?“, અને સાથે જ તેને વારંવાર લાફા ઝીંકે છે. વધુ એક વીડિયોમાં તેમને વિદ્યાર્થીને બીજા રૂમમાં લઈ જતા અને ત્યાં એક શખ્સને પ્રશ્નપત્ર આપતા પણ જોવા મળ્યા છે.
વિદ્યાર્થીએ ઘટના અંગે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે,
“જ્યારે હું ટોઇલેટ ગયો હતો ત્યારે મારું પ્રશ્નપત્ર મારા ડેસ્ક પર હતું. પણ પાછો આવ્યો ત્યારે ગુમ હતું. એ સમયે કલેક્ટર સાહેબ આવ્યા અને મને ઉભો કરીને મારી પર હાથ ચલાવ્યા. હું નિર્દોષ છું. મારી કાન પર અસર થઈ છે.”
કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવની સ્પષ્ટતા
વિડિયો સામે આવતા કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે કહ્યું કે, “અમને કોલેજમાંથી માસ ચીટિંગની માહિતી મળી હતી. જ્યારે અમે તપાસ કરી ત્યારે દરેક વિદ્યાર્થી નોર્મલ રીતે લખી રહ્યો હતો, પરંતુ આ એક વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્ર નહોતું. તેણે સ્વીકારી લીધું કે તેનું પ્રશ્નપત્ર બહાર મોકલાવ્યું હતું જેથી તે જવાબ મેળવી શકે.”
તેમણે ઉમેર્યું કે, “વિડિયોમાં પણ સ્પષ્ટ છે કે તે પ્રશ્નપત્ર એક વ્યક્તિને આપતો જોવા મળે છે. અમે આ અંગે લેખિતમાં ફરિયાદ આપી છે અને કોલેજ એનાથી સંબંધિત કાર્યવાહી કરશે.”
સામાન્ય વિદ્યાર્થી સામે અતિશય સખત વલણનો પ્રશ્ન
વિડિયો સામે આવતા રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે અને આઈએએસ અધિકારીના વલણની કટાક્ષ થઈ રહી છે. સામાન્ય વિદ્યાર્થી સામે અધિકારીએ શારીરિક હિંસા વર્તાવવી – તે કેટલું યોગ્ય છે એ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

Leave a Reply