મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના રૂમમાં યોજાયેલી આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલતી રહી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા.
શું થયું બેઠકમાં?
બેઠક એવા સમયે થઈ છે જ્યારે તેના એક દિવસ પહેલા જ ફડણવીસે જાહેરમંચ પરથી ઉદ્ધવ ઠાકરેને ફરીથી સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. સૂત્રો અનુસાર, બંધ બારણે મળેલી આ બેઠકમાં વિધાનસભામાં નેતા પ્રતિપક્ષનું પદ, ત્રણ ભાષા નીતિ સહિત અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની ચર્ચા છે. જોકે, બંને પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
આ બેઠક રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે એવી શક્યતા હોવાથી રાજકીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે.
સીએમ ફડણવીસે શું કહ્યું હતું?
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેના વિદાય કાર્યક્રમમાં ફડણવીસે હળવાશભર્યું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “ઉદ્ધવજી, 2029 સુધી તો અમારું વિપક્ષમાં આવવાનો પ્રશ્ન જ નથી, પણ તમે ઈચ્છો તો સત્તાધારી પક્ષમાં આવી શકો. તમારે વિચારવું પડશે.”
આ નિવેદન પર ઉદ્ધવ ઠાકરેનું પ્રતિક્રિયાની પણ નોંધ લેશો. તેમણે મીડિયાને જણાવ્યું કે, “કેટલીક વાતો હાસ્યમાં જ લેવી જોઈએ.”
ફડણવીસ અને ઠાકરે વચ્ચે થયેલી આ બેઠક મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જોડાણો અને સમીકરણોની સંભાવનાઓ ઉભી કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે દૃઢ નિવેદન સામે આવ્યું નથી, છતાં આ મુલાકાતે રાજકીય ચર્ચાઓને તીવ્ર બનાવી દીધી છે.

Leave a Reply