ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી

ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી

ઓડિશાના તટ પરથી ભારતે ગુરુવારે (17 જુલાઈ) ટૂંકા અંતરની બે પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ — પૃથ્વી-2 અને અગ્નિ-1 —નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ લોન્ચ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા સંચાલિત હતું અને તમામ ઓપરેશનલ તેમજ ટેકનિકલ માપદંડોને પાર પાડવામાં આવ્યા હોવાનું રક્ષામંત્રાલયે જણાવ્યું.

અગ્નિ-1 મિસાઇલ: 700 કિ.મી. સુધીનો વ્યાપ

અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી હાથ ધરાયું હતું. 700 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ લગભગ 12 ટન વજનની છે અને 1,000 કિલોગ્રામ સુધીનું પરમાણુ હથિયાર વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલને એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી દ્વારા DRDL (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી) અને આરસીઆઈ (રિસર્ચ સેન્ટર ઇમારત)ના સહયોગથી વિકસાવવામાં આવી છે, જયારે તેનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડે કર્યું છે. અગ્નિ-1 મિસાઇલ 2004થી સેના સાથે જોડાયેલી છે.

પૃથ્વી-2 મિસાઇલ: DRDOની પહેલી સિદ્ધિ

પૃથ્વી-2 મિસાઇલનું લોન્ચ ચાંદીપુરના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)ના લોન્ચ પેડ નં-3 પરથી કરવામાં આવ્યું. પૃથ્વી-2 એક સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ છે, જે DRDOની પ્રથમ મિસાઇલ છે. તેની રેન્જ 350 કિ.મી. છે અને તે 500 થી 1,000 કિલોગ્રામ સુધીના હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી-2માં બે એન્જિન હોય છે અને તે પ્રવાહી તેમજ ઘન બળતણ વડે સંચાલિત થાય છે. 2003થી આ મિસાઇલ ભારતીય સેવામાં સામેલ છે.

આ પરીક્ષણોથી ભારતે પોતાની વ્યૂહાત્મક અને ટેકનિકલ ક્ષમતાને પુનઃસાબિત કરી છે અને દેશની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનું સંકેત આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.