છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે અને તમનારમાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોના મુદ્દા પર ચર્ચા કરવી હતી. એટલે ‘સાહેબે’ મારા ભિલાઈ નિવાસસ્થાને ED મોકલી દીધી છે.”

કૌભાંડમાં ચોંકાવનારા નાણાંકીય વ્યવહારો
છત્તીસગઢના આ એક્સાઈઝ કૌભાંડની રકમ હાલમાં 2100 કરોડથી વધીને અંદાજે 3200 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. ED અને અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસમાં વ્યસ્ત છે.
આ પહેલાં મંગળવારે (15 જુલાઈ) હોટેલ વ્યવસાયી વિજય અગ્રવાલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાન અને અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ગોવા અને દિલ્હી સહિત વિવિધ સ્થળોએ તપાસ દરમિયાન 70 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. વિજય અગ્રવાલને ભૂપેશ બઘેલનો નિકટવર્તી માનવામાં આવે છે.
રાજકીય આરોપો
વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે થયેલી આ કાર્યવાહી રાજકીય નાણાંકીય દબાણની શક્યતા તરફ ઇશારો કરે છે. ભૂપેશ બઘેલે આરોપ લગાવ્યો છે કે વૃક્ષો કાપવાના મુદ્દાને દબાવવા માટે સરકાર દ્વારા EDને વાપરવામાં આવી રહી છે.
આ કેસ સાથે જોડાયેલી તપાસ ચાલી રહી છે અને EDની આગામી કાર્યવાહી પર તમામ રાજકીય દળોની નજર છે.

Leave a Reply