SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ

SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના વિધાન પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે હવે અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓ માટે જ માન્ય રહેશે. જો અન્ય કોઈ ધર્મના વ્યક્તિએ આ સર્ટિફિકેટ મેળવીને સરકારી સુવિધાઓનો લાભ લીધો હશે તો તે રદ કરવામાં આવશે અને કાયદેસર પગલાં ભરવામાં આવશે.

SC સર્ટિફિકેટનો દુરુપયોગ કરનારા સામે કાર્યવાહી

ફડણવીસે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ, જે હિન્દુ, બૌદ્ધ કે શીખ ધર્મનો નથી, તેણે SCનું પ્રમાણપત્ર મેળવી અનામત હેઠળ સરકારી નોકરીઓ મેળવી હોય, તો આવા તમામ કિસ્સાઓની તપાસ કરવામાં આવશે. આવા લોકોના પ્રમાણપત્રો રદ કરવામાં આવશે અને જો કોઈએ આ આધારે ચૂંટણીઓ જીતી હોય, તો તેમની ચૂંટણીઓ પણ રદ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર એવા દરેક કિસ્સાઓ પર નજર રાખી રહી છે જ્યાં વ્યક્તિએ ધર્માંતરણ કર્યા બાદ પણ SC શ્રેણી હેઠળ લાભ મેળવ્યા હોય. રાજ્ય સરકારનો આશય છે કે અનામતનો લાભ માત્ર સચોટ અને યોગ્ય હકદારને જ મળે.

ધર્માંતરણ સંબંધિત કાયદો લાવવાની તૈયારી

વિધાન પરિષદમાં ચર્ચા દરમિયાન ફડણવીસે એવી પણ જાહેરાત કરી કે મહારાષ્ટ્ર સરકાર બળજબરીથી અથવા છેતરપિંડીથી થતું ધર્માંતરણ અટકાવવાના હેતુથી એક કડક ધર્માંતરણ વિરોધી કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગે રાજ્ય પોલીસના મહાનિર્દેશકના અધ્યક્ષસ્થાને સમિતિ રચાઈ છે અને એ સમિતિએ પોતાનો અહેવાલ પણ સરકારે સોંપી દીધો છે.

ફડણવીસે જણાવ્યું કે સરકાર સમિતિના સૂચનોને આધારે આવાં કિસ્સાઓનો અભ્યાસ કરશે અને જરૂરી કાનૂની સુધારાઓને લાગુ કરશે જેથી કોઈ પણ વ્યક્તિ છેતરપિંડીથી ધર્મ બદલીને સમાજની આરક્ષિત વ્યવસ્થાનો દુરુપયોગ ન કરી શકે.

વિધાનસભામાં કડક ધર્માંતરણ વિરોધી કાયદો રજૂ થશે

ગૃહ રાજ્યમંત્રી પંકજ ભોયરએ સોમવારે માહિતી આપી હતી કે રાજ્ય વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો રજૂ કરવામાં આવશે. આ કાયદો અન્ય રાજ્યોમાં અમલમાં આવેલા સમાન કાયદાઓ કરતા વધુ સખત અને અસરકારક હશે, એમ તેમણે ઉમેર્યું.

અન્ય નેતાઓના દાવાઓ અને ચિંતાઓ

ભાજપના નેતા અમિત ગોરખેએ દાવો કર્યો કે રાજ્યમાં અનેક એવા લોકો છે જેઓ ખ્રિસ્તી ધર્મનું ગુપ્ત પાલન કરે છે અને જાહેરમાં SC તરીકે ઓળખાવીને અનામતનો લાભ લઈ રહ્યા છે. ગોરખેએ કહ્યું કે આ વ્યક્તિઓ સરકારી નોકરીઓ, ચૂંટણીઓ અને અન્ય લાભોમાં પણ પોતાની ઓળખ છુપાવે છે, જે તંત્ર માટે ગંભીર પડકાર છે.

વિધાન પરિષદના સ્વતંત્ર સભ્ય અને ભાજપ નેતા ચિત્રા વાઘે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અનેક મહિલાઓએ એવું અનુભવ્યું છે કે તેમના પતિઓએ પોતાના ધર્મ અંગે ખોટી જાણકારી આપી લગ્ન કર્યા છે. તેમણે સાંગલીમાં થયેલા એક કિસ્સાનું ઉદાહરણ આપ્યું જેમાં યુવતીના પતિનું પરિવાર ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતું હતું.

દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સરકારની માગ છે કે અનામત અને ધાર્મિક સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન જળવાઈ રહે અને સમાજના નબળા વર્ગો માટે નિર્ધારિત હક સાચા હકદાર સુધી જ પહોંચે. આગામી સમયમાં આ મુદ્દે કાનૂની ફેરફારો અને કાર્યવાહી અંગે વધુ વિગત આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.