ટાટા સન્સે શુક્રવારે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ નામના એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની મુંબઈમાં નોંધણી પૂર્ણ કરી છે. આ ટ્રસ્ટ અમદાવાદમાં Air India ફલાઇટ AI-171ના દુર્ઘટનામાં મૃત અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સમર્પિત છે.
ટ્રસ્ટ દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ થયેલા અને પરોક્ષ રીતે અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક તેમજ લાંબાગાળાની સહાય પૂરી પાડી આપવામાં આવશે.
ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક બચાવકર્તા, તબીબી તથા રાહતકર્મીઓ, સોશિયલ વર્કર્સ અને સરકારના કર્મચારીઓ જેમણે દુર્ઘટના પછી મહત્વપૂર્ણ સેવા આપી, તેમને પણ માનસિક અને સામાજિક સપોર્ટ આપવામાં આવશે.

ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ બંનેએ મળી કુલ ₹500 કરોડનો ફાળો આપવાની જાહેરાત કરી છે, જેમાં બંને તરફથી ₹250 કરોડનો ફાળો ટ્રસ્ટના ધ્યેય માટે આપવા સંકલ્પ કર્યો છે. આમાં મૃત્યુ પામેલ વ્યક્તિના આશ્રિતોને ₹1 કરોડની સહાય, ગંભીર રીતે ઘાયલ થયેલાઓના ઉપચારના ખર્ચ અને દુર્ઘટનામાં નુકસાન પામેલા બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટેના ખર્ચનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટની જવાબદારી પાંચ સભ્યોની ટ્રસ્ટી બોર્ડ સંભાળશે. હાલમાં જેમાં પૂર્વ ટાટા વેટરન એસ. પદ્મનાભન અને ટાટા સન્સના જનરલ કાઉન્સેલ સિદ્ધાર્થ શર્માને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય ટ્રસ્ટીઓની નિમણૂંક પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
ટ્રસ્ટ ટૂંક સમયમાં ટેક્સ સત્તાધિકારીઓ પાસે જરૂરી નોંધણી અને અન્ય વિધિવત પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી કાર્યરત થશે.
આ અગાઉ, એરલાઇન પાઇલટ્સ એસોસિએશન (ALPA) ઈન્ડિયાએ મીડિયા હાઉસોને અપીલ કરી હતી કે તેઓ AI-171 દુર્ઘટના અંગે અનધિકૃત અને અનુમાન આધારિત અહેવાલો ન આપે, ખાસ કરીને જ્યાં વિષય માનસિક તણાવ કે ક્રૂની ત્રુટિ પર આધારિત હોય. ALPA એ સ્પષ્ટ કર્યું હતું કે દુર્ઘટનાની તપાસના પુરાવા વિના કોઈ crew member પર આરોપ મુકવો અન્યાય છે.

Leave a Reply