રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ

રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે.

મીરા ભાયંદરમાં એક જાહેર સભામાં રાજ ઠાકરેએ દાવો કર્યો કે ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દાયકાઓથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો ષડયંત્ર ઘડી રહ્યા છે. તેમણે આચાર્ય અત્રેના પુસ્તકનો ઉલ્લેખ કરીને કહ્યું કે,

“મને આઘાત લાગ્યો જ્યારે મેં વાંચ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવાની તરફેણમાં પ્રથમ માંગણી કરી હતી.”

આ દાવા પછી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને પાટીદાર નેતાઓ દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

મોરારજી દેસાઈ સામે પણ વિવાદિત આરોપ

રાજ ઠાકરેએ વિવાદ આગળ વધારતાં જણાવ્યું કે મોરારજી દેસાઈએ મહારાષ્ટ્રના આંદોલનો દરમિયાન મરાઠી લોકો પર ગોળીબાર કરાવ્યો હતો, જેનાથી અનેક લોકોના મોત નિપજ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાંખીશું

બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે.

અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ નિવેદનો

આ પહેલા પણ રાજ ઠાકરે વરલીની સભામાં ગુજરાતીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “તમારી પાસે વિધાનસભાની સત્તા હશે, પણ અમારી સત્તા રસ્તા પર છે.” તેમણે જણાવ્યું હતું કે, “મીરા રોડ પર એક વ્યક્તિએ ગુજરાતી વ્યક્તિને થપ્પડ મારી, પરંતુ શું તેની પર લખેલું હતું કે તે ગુજરાતી છે?” રાજ ઠાકરેએ ચેતવણી આપી કે જો કોઇ નાટક કરશે તો “કાનની નીચે બજાવવી પડશે”.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – “હા, અમે ગુંડા જ છીએ”

ફડણવીસના ગુંડાગીરી સંબંધિત નિવેદન પર જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી હોય તો હા, અમે ગુંડા છીએ.” તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પટેલોને ભડકાવી અને તેમના સત્તા લાભ માટે હાંસિયે ધકેલી દેવામાં આવ્યા છે.

નિકર્ષ

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના તાજેતરના નિવેદનો ફરી એકવાર મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની રાજકીય તણાવભરી ભાષા અને અભિવ્યક્તિ પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતા અંગેના વિવાદિત ટિપ્પણીઓ માત્ર ઇતિહાસના ભ્રમિત વિવેચન પૂરતાં સીમિત નથી રહી, પરંતુ તેના કારણે સામાજિક અને રાજકીય તોફાન ઊભું થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.