અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું.
ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો હતો”
ટ્રમ્પે જણાવ્યું કે, “પહલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો હતા અને લડાઈના એ તબક્કે લગભગ પાંચ ફાઈટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા હતા.” તેમણે દાવો કર્યો કે તેમની દખલથી સ્થિતિ સંભાળી શકાઈ હતી. ટ્રમ્પે કહ્યું, “મેં ઘણા મોટા યુદ્ધોને રોકવામાં ભૂમિકા ભજવી છે, અને ભારત-પાકિસ્તાન વચ્ચે પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી. જો મારી દખલઅંદાજી ન હોત, તો શક્ય છે કે પરમાણુ સંઘર્ષ થઈ ગયો હોત.”
“અમે વેપાર દ્વારા દબાણ બનાવ્યું”
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેમણે વેપારના દબાણ દ્વારા બંને દેશોને સંયમ રાખવા મજબૂર કર્યા હતા. “અમે કહ્યું કે જો તમે શસ્ત્રો (અથવા પરમાણુ શસ્ત્રો)નો ઉપયોગ કરશો તો અમે કોઈ વેપાર કરાર નહીં કરીએ” એમ ટ્રમ્પે ઉમેર્યું.
ભારતે તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ફાઈટર જેટ્સ
ટ્રમ્પના દાવાની સમર્થનરૂપ ભારત તરફથી 10 મેના રોજ એર માર્શલ એ. કે. ભારતીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના ઘણા હાઈ-ટેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા છે, જોકે ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં નહોતી આવી. બીજી તરફ પાકિસ્તાને ભારતીય દાવાઓ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે માત્ર એક પાકિસ્તાની વિમાનને નુકસાન થયું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતીય વાયુસેના (IAF)ના રાફેલ સહિત છ વિમાનોને તોડી પાડ્યા છે.
CDS જનરલ અનિલ ચૌહાણનુ નિવેદન
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે, “હા, કેટલાક ફાઈટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા, પણ તેમની સંખ્યા મહત્વપૂર્ણ નથી. મહત્વનું એ છે કે કઈ ભૂલના કારણે એવું થયું અને ભારતે ત્યારબાદ તે ભૂલોને ઝડપથી સુધારી હતી.” તેમણે ઉમેર્યું કે, “પરિસ્થિતિનો યોગ્ય અને તત્કાલ જવાબ આપવો ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા દર્શાવે છે.”
ટ્રમ્પના દાવા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણ અને દક્ષિણ એશિયા પર તેના દબાણ અંગે ચર્ચા ઉભી કરી રહ્યાં છે. તેમની વાતો ઘણીવાર વિવાદાસ્પદ રહી છે, પરંતુ તેમની ભાષામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવનું ગંભીરતાપૂર્વકનું વર્ણન ચોક્કસપણે ચિંતાજનક છે.

Leave a Reply