વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ના આયોજકોએ લીધો મોટો નિર્ણય
વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) અંતર્ગત આજે રમાનાર ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચ હવે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદ, સામાજિક મીડિયામાં ઉઠેલી નારાજગી અને પૂર્વ ભારતીય ક્રિકેટરો પર થયેલા દબાણને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે.

શિખર ધવનનો દેશપ્રેમભર્યો સંદેશ: “મારો દેશ સર્વોપરી છે”
મેચ રદ થવાની પહેલી ઝાંખી ત્યારે મળી જ્યારે શિખર ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું:
“મારો દેશ મારા માટે સર્વોપરી છે અને દેશથી મોટું કંઈ નથી.“
આ ટ્વીટ પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારતના કેટલાય પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ, જેમ કે હરભજન સિંહ, સુરેશ રૈના અને યુસુફ પઠાણે પણ આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ખેલાડીઓ પર સોશિયલ મીડિયામાં ભારતીય યુઝર્સ દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી હતી કે તેઓ પાકિસ્તાન સામેના મેચમાં રમવા જઈ રહ્યા છે, જ્યારે દેશમાં એવું વાતાવરણ નથી.

WCLનું સત્તાવાર નિવેદન: “અજાણતાં લોકની લાગણીઓને ઠેસ પહોંચી”
વિવાદ બાદ WCL દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં તેઓએ કહ્યું:
“WCL માં અમે હંમેશા ક્રિકેટને ખૂબ પ્રેમ કરતા આવ્યા છીએ અને અમારો હેતુ માત્ર પ્રેક્ષકો માટે યાદગાર ક્ષણો ઊભી કરવાનો રહ્યો છે.“
તેમણે કહ્યું કે, હાલમાં પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે અને થોડા સમય પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે વોલીબોલ જેવી રમતો પણ રમાઈ છે. તે પ્રમાણે એમને લાગ્યું કે અહીં પણ મેચ રાખવી યોગ્ય રહેશે. પરંતુ આ નિર્ણય સામાન્ય લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવો સાબિત થયો.
વધુમાં તેઓએ ઉમેર્યું:
“અમારાથી અજાણતાં એવી સ્થિતિ સર્જાઈ કે દેશના ઘણા ક્રિકેટ દિગ્ગજો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અમને ટેકો આપતી બ્રાન્ડ્સને પણ આ નિર્ણયથી નુકસાન થયું છે. તેથી અમે ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે.“

Leave a Reply