અમદાવાદના વિરમગામમાં આમ આદમી પાર્ટી (AAP) માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યાં 100થી વધુ સામાજિક કાર્યકરોએ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના હસ્તે આ કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. આગેવાન પીન્ટુભાઈ સહિત અનેક સામાજિક અગ્રણીઓએ AAPની નીતિઓ અને કાર્યશૈલીથી પ્રભાવિત થઈને જોડાણ કરવાનું નક્કી કર્યું છે.
ઈસુદાન ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું કે, “ગુજરાતના લોકો હવે કામની રાજનીતિ અપનાવી રહ્યા છે. અગાઉ રાજકારણ જાતિ અને ધર્મના આધારે થતું હતું, પરંતુ હવે શિક્ષણ, આરોગ્ય, ખેતી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “વિરમગામ વિસ્તારમાં પીન્ટુભાઈએ મજબૂત સામાજિક કામગીરી કરીને લોકોમાં વિશ્વાસ જીત્યો છે. હવે તેઓ AAP સાથે મળીને વિસ્તારમાં નાગરિકોના હિત માટે લડત લડશે.”
ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, “AAPમાં રોજે રોજ 10,000થી વધુ નાગરિકો જોડાઈ રહ્યા છે, જે એ વાતનો પુરાવો છે કે ગુજરાતમાં કામ આધારિત રાજકારણને લોકોનો સમર્થન મળી રહ્યો છે.”
વિસાવદરમાં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાર્ટી માટે રાજ્યમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને અનેક વિસ્તારમાં કાર્યકર જોડાઈ રહ્યાં છે.

Leave a Reply