કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા

ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મીનાક્ષી લેખી તિબેટના દાર્ચિન વિસ્તારમાં યાત્રા દરમિયાન ઘોડા પરથી પડી ગયા હતા, જેના પરિણામે તેમની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે તેમને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે.

આ ઘટના પછી તિબેટથી ભારતના ધારચુલા ખાતેના નાભિધાંગ બેઝ કેમ્પ સુધી તેમને હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવશે અને ત્યારબાદ દહેરાદૂન ખસેડવામાં આવશે. પિથોરાગઢ જિલ્લાનું વહીવટીતંત્ર તેમના રેસ્ક્યૂ માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે.

કૈલાશ માનસરોવર યાત્રા માટે આ વર્ષે કુલ 750 ભારતીય યાત્રાળુઓની પસંદગી કરવામાં આવી છે. તેમામાંથી 500 યાત્રાળુઓ નાથુલા પાસ (સિક્કિમ) અને 250 યાત્રાળુઓ લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) મારફતે યાત્રા પર ગયા છે. મીનાક્ષી લેખી લિપુલેખ પાસથી જતા બીજા જૂથમાં સામેલ હતા. આ જૂથમાં કુલ 48 ભક્તો હતા, જેમાં 34 પુરૂષ અને 14 મહિલાઓનો સમાવેશ થાય છે.

દર વર્ષે યોજાતી આ શ્રદ્ધાયાત્રા ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, પરંતુ તીવ્ર પર્વતીય પરિવેશ અને હવામાનની કઠિનાઈઓને કારણે આરોગ્ય સંબંધિત જોખમો રહે છે. હાલમાં યાત્રાની ત્રીજી બેચ તિબેટમાં છે અને ચોથી તથા પાંચમી બેચ અનુક્રમે 5 અને 9 ઓગસ્ટે ભારત તરફ રવાના થવાની છે.

મીનાક્ષી લેખીનું સ્વાસ્થ્ય સ્થિર છે તેવી માહિતી મળી રહી છે અને હવે દેશભરમાંથી તેમના સ્વસ્થતા માટે શુભેચ્છાઓ વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.