ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આજે સંસદ ભવનમાં મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક મળી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને માહિતી આપી હતી કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ ચર્ચા સંસદના નિયમો હેઠળ થશે.
બધા મુદ્દાઓ પર ચર્ચા માટે સરકાર તૈયાર
કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે સરકાર કોઈપણ ચર્ચાથી પીછેહઠ કરશે નહીં. “સંસદના ગૃહમાં તમામ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા માટે અમે સજ્જ છીએ,” એમ રિજિજુએ જણાવ્યું. સત્ર સોમવાર, 21 જુલાઈથી શરૂ થશે.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદી વિશે પણ ચર્ચા
સર્વપક્ષીય બેઠક દરમિયાન વિપક્ષે માંગણી કરી કે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા જેવા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીની હાજરી હોવી જોઈએ. રિજિજુએ જવાબ આપ્યો કે વડાપ્રધાન સીધા ચર્ચામાં ભાગ લે ન લે, પણ તેઓ સંસદ પરિસરમાં હાજર રહે છે.
ચોમાસુ સત્રમાં 17 બિલ રજૂ થશે
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે ચોમાસુ સત્રમાં મોટા અને મહત્વપૂર્ણ 17 બિલ રજૂ કરવામાં આવશે. સરકારના હેતુ મુજબ વિપક્ષના પ્રશ્નોનો પણ સમાધાનપૂર્વક જવાબ આપવામાં આવશે. રિજિજુએ કહ્યું, “સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપશે, પણ દરેક બાબતનો જવાબ મીડિયા સામે નહીં આપી શકાય.”
વિપક્ષ અને શાસક પક્ષ બંનેની જવાબદારી
અંતે મંત્રીએ કહ્યું કે સંસદની કાર્યક્ષમતા બંને પક્ષોની જવાબદારી છે. તેમણે એ પણ કહ્યું કે ઘણી નાની પાર્ટીઓને પણ પોતાનો અવાજ રાખવા પૂરતો સમય મળવો જોઈએ અને સરકાર આ બાબતની પણ સમીક્ષા કરશે.
Leave a Reply