ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે.
આ માહિતી મળતાં જ રાજાની માતા આઘાતમાં તૂટી પડ્યા અને તેઓ બેભાન થઈ ગયા. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “સોનમના ભાઈએ આરોપીઓને જામીન મેળવવામાં મદદ કરી છે.” વિપિને વધુમાં કહ્યું કે, જો રાજાને ન્યાય નહીં મળે તો તેમનો પરિવાર સામૂહિક આત્મહત્યા કરશે. તેઓ ન્યાય માટે હાઈકોર્ટ અને જરૂરી જણાય તો સુપ્રીમ કોર્ટ સુધી પણ લડશે
રાજાની હત્યાની પાછળ તમામની ભુમિકા
23 મેના રોજ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ હનીમૂન માટે નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા. 2 જૂને રાજાનો મૃતદેહ મળ્યો હતો અને 8 જૂને સોનમ ગાઝીપુર, ઉત્તર પ્રદેશથી જીવિત મળી આવી હતી. શિલોંગ પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા તથા ત્રણ સાથીઓ સાથે મળીને પતિની હત્યા કરાવી હતી. આ નિવેદન બાદ સોનમ અને તેના સાથીઓની ધરપકડ કરી જેલમાં મોકલાયા હતા.
ઘરેણાં પર પણ વિવાદ
સોનમના પિતાએ દહેજમાં આપવામાં આવેલા ઘરેણાં પાછા લેવા ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેમના પુત્ર ગોવિંદ રઘુવંશીએ તે ઘરેણાં રાજાના ભાઈ વિપિનને સોંપી દીધાં. આ ઘટનાએ પરિવાર વચ્ચેના સંબંધોને વધુ જટિલ બનાવી દીધાં છે. સોનમના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની પુત્રી દોષિત સાબિત થાય છે તો તેઓ તેના તમામ સંબંધો તોડી નાંખશે.

Leave a Reply