કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદનનું તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને ગયા મહિને હૃદયરોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત થયો છે.
વી.એસ. અચ્યુતાનંદન 2006 થી 2011 દરમિયાન કેરળના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સ્થાપક સભ્યોમાંના એક હતા અને રાજ્યમાં સામાજિક ન્યાય, જમીન સુધારણા અને કામદારોના હકો માટે સતત સંઘર્ષ કરનારા નેતા તરીકે ઓળખાતા હતા. તેમના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અને જનહિતના મુદ્દાઓ પર અડગ અભિગમથી તેઓ લોકપ્રિય થયા હતા.
અચ્યુતાનંદન રાજકીય જીવનમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા હતા. તેઓ કેરળ વિધાનસભામાં સાત વખત ચૂંટાયા અને ત્રણ વખત વિપક્ષના નેતા તરીકે પણ કામગીરી આપી હતી. 82 વર્ષની ઉંમરે તેમણે 2006માં મુખ્યમંત્રી પદ સંભાળીને વરિષ્ઠ નાગરિકો માટે પ્રેરણા પૂરું પાડી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ જાહેર જીવનથી દુર રહી રહ્યા હતા અને તિરુવનંતપુરમમાં પોતાના પુત્ર સાથે રહેતા હતા.
તેમના નિધન પછી રાજકીય પાટીમાં શોકની લાગણી પ્રસરી છે. સીપીઆઈ-એમ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પૂર્વે Twitter) પર તેમને શ્રદ્ધાંજલી આપી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર સહિત અનેક રાજકીય નેતાઓએ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના ખાનગી સચિવ એ.જી. શશિધર નાયરે જણાવ્યું કે, “વી.એસ. એક એવા નેતા હતા, જે ક્યારેય દબાણમાં આવતાં નહોતા અને જનહિતના મુદ્દાઓ પર નિર્ભયપણે અવાજ ઉઠાવતાં.”

Leave a Reply