ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકીય સરગર્મી ઊભી કરી છે. તેમણે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યાનું કારણ આપ્યું છે. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સંબંધિત નોટિફિકેશન જાહેર થવાની શક્યતા છે.

આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક્સ’ પર પોસ્ટ કરીને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને દેશ માટે તેમની સેવાની પ્રશંસા કરી હતી. પદનો પૂર્ણ કાર્યકાળ પૂરાં કર્યા વિના રાજીનામું આપનાર ધનખડ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમના પૂર્વવર્તી વીવી ગિરી અને ભૈરવસિંહ શેખાવત પણ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપી ચૂક્યા છે.
સૂત્રો અનુસાર, સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે થયેલી તીખી ચર્ચાઓ બાદ ઉપરાષ્ટ્રપતિ ધનખડે બધા પક્ષોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, ભાજપના શિર્ષ નેતાઓ નડ્ડા અને કિરેન રિજિજૂ આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. ત્યારબાદ મોડી સાંજે ધનખડે પોતાના સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપના વલણથી નારાજ હતા.

Leave a Reply