ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે ધનખડ સંપૂર્ણ સ્વસ્થ હતા અને તેમણે રાજીનામાની ઘોષણાની સાંજના સમયે પણ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશે ધનખડ સાથે મુલાકાત અને ફોન પર વાતચીતની વિગતો આપી છે. જયરામ રમેશે તો સ્પષ્ટપણે કહ્યું કે સાંજે 5 વાગ્યે મુલાકાત થયા બાદ 7:30 વાગે ફોન પર પણ ચર્ચા થઈ હતી, જેમાં કોઈ તબિયત બગડવાની વાત નહોતી.
ઉલ્લેખનીય છે કે ધનખડનો 23 જુલાઈનો જયપુર પ્રવાસ પહેલેથી નક્કી હતો, જેને હવે રદ કરાયો છે. આથી રાજીનામાનું સમયચક્ર પણ શંકાસ્પદ બની રહ્યું છે. જો ખરેખર તબિયત ખરાબ હતી તો સત્ર શરૂ થાય એ પહેલાં રાજીનામું આપવું શક્ય હતું.
આમાંથી આશંકા ઉઠી રહી છે કે શું જગદીપ ધનખડ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ અંદરખાને મતભેદ હતા? કે પછી રાજ્યસભાની અધ્યક્ષતામાં થઈ રહેલા નિર્ણયો મુદ્દે મતભેદ ઊભા થયા હતા?
ભારતીય બંધારણ અનુસાર, આગામી 60 દિવસમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવી પડશે. તે સુધી રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ સંભાળશે.

Leave a Reply