અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતો તેમજ પશુપાલકોના હકોના મુદ્દે સરકારને ઘેરી હતી.

અરવિંદ કેજરીવાલે જાહેરમાં કહ્યું કે, “30 વર્ષના શાસન પછી ભાજપનો ભ્રષ્ટાચાર અને અહંકાર ચરમસીમાએ છે. ખેડૂતો અને પશુપાલકો પોતાની યોગ્ય માંગણી માટે રેલી કરે છે ત્યારે તેમના પર લાઠીચાર્જ થાય છે અને તેઓ માર્યા જાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર દ્વારા હજુ પણ મૃતક અશોક ચૌધરીના પરિવારને વળતર મળ્યું નથી. “ભાજપના નેતાઓ ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મહેલ બનાવી રહ્યા છે,” એવો આક્ષેપ કરી તેઓએ દેડિયાપાડા ખાતે ચૈતરભાઈ વસાવાની સભામાં હાજરી આપવાની જાહેરાત પણ કરી.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તીખો પ્રહાર કરતા આરોપ મૂક્યો કે, “C.R. પાટીલે કમલમ બનાવવા માટે ગુજરાતભરમાં જમીનો ખરીદવામાં ગરીબ ખેડૂતના હકના પૈસાનો દુરુપયોગ કર્યો છે.” તેમણે કહ્યું કે, આઝાદી પછી પણ જો ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજવી પડે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.

ઇશુદાન ગઢવીએ ચેતવણી આપી કે, “ભાજપે જેમ કાંગ્રેસે કરેલી ભૂલ પુનરાવૃત્તિ કરીને ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કર્યા છે, તેનું પરિણામ 2027ની ચૂંટણીમાં ભોગવવું પડશે.” તેમણે સાબર ડેરીની ઘટનાને ભાજપના અહંકારનું જીવું ઉદાહરણ ગણાવ્યું.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી ચૂંટણીઓમાં ખેડૂતો અને પશુપાલકોના મુદ્દાને લઈને રણનીતિ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.