ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય.
તેમણે જણાવ્યું કે, “હું જસ્ટિસ વર્માની પસંદગીમાં સહભાગી રહ્યો છું, તેથી નિષ્પક્ષતાની દૃષ્ટિએ હું આ કેસની સુનાવણી કરી શકતો નથી.” સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં નવા બેન્ચની રચના કરશે. બીજી તરફ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ વર્માની તરફથી અરજી રજૂ કરતા કોર્ટને ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે.
મૂળ મામલો એ છે કે, જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે જેમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલી આંતરિક તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાનો અનુરોધ કર્યો છે. સમિતિએ તેમને તેમના નિવાસસ્થાનમાં મળી આવેલ દાઝેલી રોકડના મામલામાં દોષિત ઠેરવ્યા છે. પરંતુ જસ્ટિસ વર્માનું કહેવું છે કે તેમને પોતાનો બચાવ રજૂ કરવાનો પૂરતો મોકો આપવામાં આવ્યો ન હતો.
આ કેસમાં મહાભિયોગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. સંસદમાં રજૂ થયેલા મહાભિયોગ પ્રસ્તાવ પર 145 લોકસભા અને 63 રાજ્યસભા સાંસદોના હસ્તાક્ષર છે. તપાસ માટે તત્કાલીન CJI જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની સમિતિ રચાઈ હતી, જેમણે ગંભીર કથિત વિગતો દર્શાવી હતી. જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી. જસ્ટિસ વર્માએ આરોપોને ખોટા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે તેઓ નિર્દોષ છે તથા તેમની વિરુદ્ધ કાવતરું રચાયું છે. તેમને દિલ્હી હાઇકોર્ટમાંથી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે.

Leave a Reply