પાંચ વર્ષ પછી ચીનના પ્રવાસીઓ માટે ભારતના દરવાજા ખુલ્યા, 24 જુલાઈથી મળશે ટુરિસ્ટ વિઝા

પાંચ વર્ષ પછી ચીનના પ્રવાસીઓ માટે ભારતના દરવાજા ખુલ્યા, 24 જુલાઈથી મળશે ટુરિસ્ટ વિઝા

સંબંધોને સુધારવાના ભાગરૂપે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 24 જુલાઈ 2025થી ચીનના નાગરિકોને ફરી પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો હતો, જેને પગલે ભારતે ચીનના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે થતાં સંવાદ અને વ્યૂહાત્મક ચર્ચાઓના પરિણામે વિઝા નીતિમાં બદલાવ આવ્યો છે.

ભારતીય દૂતાવાસે બેઈજિંગમાં જાહેરાત કરી કે ચીનના નાગરિકો 24 જુલાઈથી ભારતની પ્રવાસી વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા માટે નાગરિકોએ વેબસાઈટ પર ફોર્મ ભરીને તેની પ્રિન્ટ કાઢવી પડશે અને ત્યારબાદ એપોઈન્ટમેન્ટ લઈ વિઝા સેન્ટર પર પાસપોર્ટ તથા જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવું પડશે. ચીની સરકારના મિડિયા ‘ગ્લોબલ ટાઈમ્સ’ દ્વારા પણ આ પગલાનું આવકાર આપી માહિતી જાહેર કરવામાં આવી.

વિઝા પર પ્રતિબંધ મૂકળવાનું મુખ્ય કારણ 2020માં કોરોના મહામારી દરમિયાન લેવામાં આવેલા સુરક્ષા પગલાં અને એ સમયગાળામાં ગલવાન ઘાટીમાં થયેલા હિંસક અથડામણો હતા. ભારતે એ સમયે તમામ વિદેશી પ્રવાસી વિઝા સસ્પેન્ડ કરી હતી, જેમાં ચીનનો સમાવેશ થયો હતો. બીજી તરફ ચીને પણ 22,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા ચીન જવાની મંજૂરી ન આપી, જેના પરિણામે પરસ્પર પ્રતિસાદરૂપે ભારતે ચીન માટે વિઝા બંધ કર્યો.

હવે, બંને દેશો ધીમી પણ સકારાત્મક ગતિએ આગળ વધી રહ્યા છે. પૂર્વ લદાખના દેપ્સાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સેનાઓની પૃષ્ઠહટ અને રાજકીય સ્તરે વધતા સંવાદ બંને વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. ભારત-ચીન વચ્ચે ફરી શરૂ થયેલી એર સર્વિસ અને કૈલાશ માનસરોવર યાત્રાની પુનઃશરૂઆત ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા સંબંધોને ઊંડાણ આપે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરની તાજેતરની ચીન મુલાકાત અને વિદેશ સચિવ વિક્રમ મિસરી દ્વારા થયેલા સંવાદ દર્શાવે છે કે બંને દેશો કૂટીનીતિક રીતે સંબંધોને નવી દિશા આપવા માટે તૈયાર છે. ચીન અને ભારત – બંને એશિયન મહાસત્તાઓ વચ્ચે સુમેળભર્યા સંબંધો ન માત્ર પરસ્પર લાભદાયક છે, પરંતુ વેપાર, પ્રવાસન અને શિક્ષણ જેવી અનેક દિશાઓમાં નવી તકોના દરવાજા ખોલી શકે છે.

Leave a Reply

Your email address will not be published.