ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના મિલ પાર્ક વિસ્તારમાં આવેલી BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરુવારે સવારે ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. આ તત્વોએ મંદિરની દીવાલો પર ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા અને તોડફોડ કરી. મેસેજમાં ખાલિસ્તાન સમર્થનમાં જરનૈલ સિંહ ભિંદરાનવાલેને “શહીદ” તરીકે દર્શાવતો graffiti લખાયો હતો અને ભારત તથા મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખાયા હતા.
આ ઘટનાને લઇને હિન્દુ કાઉન્સિલ ઓફ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ અને ભક્તિનું પ્રતીક છે, અને આ પ્રકારની ઘટના ધાર્મિક સ્વતંત્રતા અને હિન્દુ સમુદાયની ઓળખ પર સીધો હુમલો છે.
વિક્ટોરિયાના મુખ્યમંત્રી જેસિન્ટા એલને તરફથી સરકારી સ્તરે જાહેર ટીકા કરવામાં આવી નથી, પણ તેમના કાર્યાલયે મંદિર વ્યવસ્થાપનને વ્યક્તિગત સંવેદનશીલ સંદેશ મોકલ્યો છે, જેમાં આ હુમલાને ‘દ્વેષજનક અને ભય ફેલાવનારી પ્રવૃતિ’ તરીકે વર્ણવીને યોગ્ય કાર્યવાહીનો આશ્વાસન આપ્યો છે.
આ પ્રકારની ઘટનાઓ અગાઉ કેનેડાના ટોરોન્ટો અને બ્રિટનના લેસ્ટર સહિત અનેક દેશોમાં બનતી આવી છે. વિદેશોમાં હિન્દુ મંદિરો પર હુમલાના 100થી વધુ કેસો સામે આવી ચૂક્યા છે, જે વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજ માટે ચિંતા ઉભી કરે છે.

Leave a Reply