નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ

નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે છેલ્લા 10 વર્ષમાં 162 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો.

એસટીએફના જણાવ્યા મુજબ, હર્ષવર્ધન ₹300 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ છે. વિદેશમાં લોન આપવાના નામે તથા હવાલાના ધંધામાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ કરવામાં આવી છે. જાણીતા ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનની મુલાકાત સાઉદીના હથિયાર ડીલર અદનામ ખગોશી અને લંડનમાં એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી, ત્યારબાદ અનેક શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી.

હર્ષવર્ધન પાસે દુબઈમાં છ, મોરેશિયસમાં એક, યુકેમાં ત્રણ અને ભારતમાં એક બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, તે બે પાનકાર્ડ ધરાવે છે. પાસપોર્ટ તપાસમાં ખુલ્યું છે કે 2005 થી 2015 દરમિયાન તેણે યુએઈ (54), યુકે (22) સહિત 19 દેશોમાં 162 વખત પ્રવાસ કર્યો હતો.

પોલીસે તેની કસ્ટડી રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી સોમવારે થશે. તપાસ દરમિયાન તેની પાસેથી 12 નાના દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ જપ્ત કરાયા છે.

Leave a Reply

Your email address will not be published.