કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર કરવાનું કૌશલ્ય ધરાવે છે.”
ગડકરીએ વધુમાં જણાવ્યું કે, ખરાબ સમયમાં પૂછનાર કોઈ હોતું નથી, જ્યારે સારા દિવસોમાં પ્રશંસકોની કમી નથી હોતી. તેમણે નાગપુરમાં 300 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવા ઇચ્છા વ્યક્ત કરી અને જણાવ્યું કે, “સ્પોર્ટ્સ સુવિધાઓ માટે ફી લેવી જરૂરી છે, મફતમાં ન શિખવાડવું જોઈએ.” તેમણે ઉલ્લેખ કર્યો કે, “હું રાજકારણમાં છું અને તેમાં ફોગટ્યાઓનું બજાર છે. હું મફતમાં કઈ આપતો નથી.”
તેમણે જણાવ્યું કે, તેઓ પૈસા આપ્યા વગર રૂ.5 લાખ કરોડનું કામ કરાવી શકે છે. ગડકરીએ યુવાઓને કોઈપણ ક્ષેત્રમાં ઈમાનદારી અને મહેનત સાથે કામ કરવાની સલાહ આપી.

Leave a Reply