શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.
તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો થઈ રહી છે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી રેલીમાં બંને એક મંચ પર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ રાજ ઠાકરે ફરી માતોશ્રી જઈને ઉદ્ધવને શુભેચ્છા પાઠવી, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત મરાઠી વિજય રેલીમાં રાજે જણાવ્યું હતું કે, “હિન્દુત્વ પર કોઈનો એકાધિકાર નથી અને ભાજપે ઉપયોગ કરીને લોકો ફેંકી દેવાની નીતિ અપનાવી છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે હવે એકસાથે રહીને લડાઈ લડાશે.
બીજી તરફ, કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉદ્ધવ ઠાકરેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, “તમે સ્વસ્થ રહો, લાંબુ જીવો અને મહારાષ્ટ્રના લોકોના હિતોની લડાઈ સાથે લડીશું.”

Leave a Reply