IND vs ENG: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચના બીજો દિવસે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય બેટર રિષભ પંત પર ભડક્યા હતા. આ ઉપરાંત તેમણે ક્રિકેટના કનેકશન સબસ્ટિટ્યુટના નિયમની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો તમે શોર્ટ પીચ બોલ (બાઉન્સર) રમી શકતા નથી તો ટેસ્ટ ક્રિકેટ ના રમો ટેનિસ કે ગોલ્ફ જેવી રમતો રમો.’
પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર થયા ગુસ્સે!
બુધવારે (23મી જુલાઈ) માન્ચેસ્ટરમાં બેટિંગ કરતી વખતે ભારતીય વિકેટકીપર રિષભ પંતના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયા બાદ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું કે, મને હંમેશા એવું લાગ્યું છે કે તમે અક્ષમતા માટે લાઈક-ફોર-લાઈક સબસ્ટિટ્યુટ આપી રહ્યાં છો. જો તમે શોર્ટ-પિચ બોલિંગ રમવા માટે પૂરતા સારા નથી, તો ટેસ્ટ ક્રિકેટ ના રમો, ટેનિસ કે ગોલ્ફ રમો. તમે એવા વ્યક્તિને લાઈક-ફોર-લાઈક સબસ્ટિટ્યુટ આપી રહ્યાં છો જે શોર્ટ બોલ રમી શકતો નથી અને હિટ થાય છે.’
આ પણ વાંચો: IND vs ENG : મેદાન પર સિરાજ અને ડકેટ વચ્ચે જોરદાર બબાલ, વાઈરલ થયો VIDEO
પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પંત જેવી ઈજાઓ માટે કેટલાક રિપ્લેસમેન્ટને મંજૂરી આપવા માટે નિયમોની સમીક્ષા કરવી જોઈએ. ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઝડપી બોલર ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તેને ઈજા પહોંચી હતી. અહીં એ સ્પષ્ટ છે કે તે (પંત) ઈજાગ્રસ્ત છે; આવી સ્થિતિમાં કોઈ વિકલ્પ હોવો જોઈએ. હું ઈચ્છું છું કે આ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવે. એક ક્રિકેટ સમિતિ છે. ICCની એક ક્રિકેટ સમિતિ છે, હાલમાં તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે. ICCના પ્રમુખ જય શાહ છે અને ICC ના CEO સંજોગ ગુપ્તા છે.’
ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 358 રન બનાવીને ઓલઆઉટ
ઉલ્લેખનીય છે કે, 24મી જુલાઈએ મેચના બીજો દિવસે ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 358 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત માટે પહેલી ઈનિંગમાં ઈજાગ્રસ્ત હોવા છતાં રિષભ પંત અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. ત્યારે ઈંગ્લીશ કેપ્ટન બેન સ્ટોક્સે પાંચ વિકેટ ઝડપી હતી.

Leave a Reply