વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ઓપરેશન સિંદૂરના ફરી વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન એ સાબિત કરી દીધું છે કે આતંકવાદીઓ અને ભારતના દુશ્મનો માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી.
મોદીએ રાજેન્દ્ર ચોલ-પ્રથમની જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોલ રાજાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે ચોલ વંશે શ્રીલંકા અને માલદિવ્સ જેવા પ્રદેશો સાથે વ્યાપારિક સંબંધો મજબૂત કર્યા હતા. આ પ્રસંગે મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરે વિશ્વને સંદેશો આપ્યો છે કે જો ભારતની સંપ્રભુતા પર હુમલો થશે તો તેનાથી પણ કડક જવાબ મળશે.
ઓપરેશન સિંદૂરનો પ્રભાવ અને સંદેશ
મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મજબૂત સંદેશ આપ્યો છે. આ ઓપરેશનથી સમગ્ર દેશમાં નવી જાગૃતિ અને આત્મવિશ્વાસ જન્મ્યો છે. તેમણે ઉમેર્યું કે દુનિયાએ ભારતની શક્તિનો અનુભવ કરવો જોઈએ. સમ્રાટ રાજારાજ ચોલ અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ-પ્રથમના નામ ભારતના ગૌરવનું પ્રતિક છે.
મોદીએ જણાવ્યું કે તમિલનાડુમાં રાજેન્દ્ર ચોલની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. લોકશાહી વિશે બોલતાં તેમણે ઉલ્લેખ કર્યો કે ઘણા લોકો બ્રિટનના મેગ્નાકાર્ટાનો ઉલ્લેખ કરે છે, પરંતુ ચોલ કાળની કુદાવોલાઈ પ્રણાલી મેગ્નાકાર્ટા કરતાં પણ જુની છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ચોલ રાજાના સન્માનમાં એક સ્મારક સિક્કો પણ જાહેર કર્યો.
મન કી બાતમાં અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ
નવી દિલ્હી: મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત ફરેલા અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ભારતમાં અંતરિક્ષ પ્રત્યે બાળકોમાં ઉત્સુકતા વધી રહી છે અને હાલ દેશમાં 200 થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.
મોદીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા દેશમાં 50 કરતા ઓછા સ્પેસ સ્ટાર્ટઅપ્સ હતા, પરંતુ હવે આ સંખ્યા 200 પાર પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં અંતરિક્ષ, વિજ્ઞાન અને રમતગમત ક્ષેત્રે અનેક નવી સિદ્ધિઓ મેળવી છે. શુભાંશુ શુક્લાના પરત ફરતાં સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply