‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન

‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું,

“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન સિંદૂર?’

ચર્ચા દરમિયાન જયા બચ્ચને પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે સવાલ ઉઠાવ્યો,

“જ્યારે આ હુમલામાં અનેક મહિલાઓનું સિંદૂર ઉજડી ગયું છે, તો ઓપરેશનનું નામ ‘સિંદૂર’ કેમ રાખવામાં આવ્યું?”
તેમણે સરકારની નામકરણ નીતિ પર તીખી ટીકાની કરી અને જણાવ્યું કે સત્તાધારી પક્ષ એવા લેખકો રાખે છે જે “મોટા-મોટા નામ આપે છે.”

‘કલમ 370 બાદ શું બદલાયું?’

જયા બચ્ચને સરકાર પર આરોપ લગાવ્યો કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદનો ખાતમો થશે તેવી છાતી ઠોકી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં હુમલા રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ.

“જે પ્રવાસીઓ પહલગામ ગયા હતા, તેઓ કોના ભરોસા પર ગયા હતા? 25 જીવ બચાવી શક્યા નહીં અને તે પરિવારો તમને ક્યારેય માફ નહીં કરે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે સરકારને આતંકી હુમલાના ભોગ બનેલા પરિવારોની માફી માંગવાની સલાહ આપી.

પ્રિયંકા ચતુર્વેદી સાથે તણાવપૂર્ણ ક્ષણ

ભાષણ દરમિયાન જ્યારે સત્તાધારી પક્ષના સભ્યો ટોકવા લાગ્યા, ત્યારે જયા બચ્ચન ભડકી ઉઠ્યા. તેમણે કહ્યું,

“તમે બોલો અથવા મને બોલવા દો. જ્યારે તમે બોલો છો, ત્યારે હું વચમાં બોલતી નથી. જ્યારે કોઈ મહિલા બોલે છે, તો હું ક્યારેય વચમાં બોલતી નથી, તેથી તમારી જીભ પર કાબૂ રાખો.”
આ દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જયા બચ્ચને તીખો પ્રતિકાર આપ્યો:
“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર

22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.