IND vs ENG 5th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ આજે બપોરે 3:30 વાગ્યા (ભારતીય સમય પ્રમાણે)થી શરૂ થશે. પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડ હાલમાં 2-1થી આગળ છે. ઓવલના મેદાન પર ભારત પાંચમી ટેસ્ટ મેચ જીતવા અને સીરિઝ 2-2થી ડ્રો કરવાના ઈરાદા સાથે ઉતરશે. પાંચમી ટેસ્ટ મેચમાં ભારતનો એક બોલર એકલા હાથે ઈંગ્લેન્ડની ટીમને વેર-વિખેર કરી શકે છે.
ભારતનું બ્રાહ્માસ્ત્ર છે આ ઘાતક બોલર
જો કુલદીપ યાદવ પાંચમી ટેસ્ટ મેચ રમે તો તે ઈંગ્લેન્ડની ટીમ માટે ઘાતક સાબિત થઈ શકે છે. શાર્દૂલ ઠાકુરની જગ્યાએ કુલદીપ યાદવને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. શાર્દૂલ ઠાકુરનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું, આવી સ્થિતિમાં કુલદીપ યાદવ જેવા ઘાતક ચાઈનામેન સ્પિનરને તક આપવું ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે. ભૂતકાળમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન પણ કુલદીપ યાદવ સામે ફસાતા નજર આવી ચૂક્યા છે.
કુલદીપના નામથી જ કાંપી ઉઠે છે બેટ્સમેન
કુલદીપ યાદવે ઈંગ્લેન્ડની ધરતી પર કુલ 13 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 20 વિકેટ ખેરવી છે. કુલદીપ યાદવે ઈંગ્લેન્ડની ધરતી પર અત્યાર સુધીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 9 ઓવર ફેંકી હતી. આ દરમિયાન કુલદીપ કોઈ વિકેટ નહોતો લઈ શક્યો. ઈંગ્લેન્ડે આ મેચ એક ઈનિંગ્સ અને 159 રનથી જીતી હતી.
6 મેચમાં 21 વિકેટ ખેરવી
ભલે કુલદીપ યાદવને ઈંગ્લેન્ડની ધરતી પર યજમાન ટીમ સામે વધારે તકો નથી મળી, પરંતુ જો આપણે ભારતની ધરતી પર ઈંગ્લેન્ડની ટીમ સામે કુલદીપ યાદવના પ્રદર્શન પર નજર કરીએ તો, તેણે છ મેચમાં 21 વિકેટ ખેરવી છે. આમાં માર્ચ 2024માં ધર્મશાલા ટેસ્ટમાં કુલદીપ યાદવની 5 વિકેટ પણ સામેલ છે. આ ઈનિંગમાં ચાઈનામેન બોલરે 15 ઓવર ફેંકીને 72 રન આપ્યા હતા. કુલદીપ યાદવના આ પ્રદર્શનથી તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહ અને શમીના એશિયા કપમાં રમવા અંગે દિગ્ગજ ક્રિકેટરને આશંકા, જાણો શું કારણ આપ્યું?
સૌરવ ગાંગુલીએ પણ જણાવ્યો ઘાતક
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કુલદીપ યાદવને પાંચમી ટેસ્ટમાં રમાડવાની સલાહ આપી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ‘હું ગંભીરને સલાહ આપું છું કે કુલદીપ યાદવને પાંચમી ટેસ્ટમાં રમાડે અને યોગ્ય બોલિંગ આક્રમણની પસંદગી કરે. જો આપણે આ રીતે બેટિંગ કરતા રહીશું, તો આપણે ઓવલમાં જીતી શકીશું. આ એક યુવા ટીમ છે, આપણે તેમને થોડો સમય આપવો પડશે. જો આપણે આપણી બોલિંગમાં સુધારો કરીશું, તો આપણે ઓવલમાં જીતી શકીશું.’ કુલદીપ યાદવને માત્ર 13 ટેસ્ટમાંથી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે 56 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન કુલદીપ યાદવે ચાર વખત ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી.

Leave a Reply