અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. 30 જુલાઈના રોજ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રો અને તેલની ખરીદી કરી રહ્યું છે, જ્યારે વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો બંધ કરે. ટ્રમ્પે કહ્યું કે આ પરિસ્થિતિ યોગ્ય નથી અને પરિણામે ભારતને 25% ટેરિફ સાથે દંડ પણ ચૂકવવો પડશે. આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થશે.
મોદી મારા મિત્ર, પરંતુ ભારત સહયોગી નથી: ટ્રમ્પ
ટેરિફ અંગે વધુ સ્પષ્ટતા કરતાં ટ્રમ્પે જણાવ્યું,
“વડાપ્રધાન મોદી મારા મિત્ર છે, પરંતુ ભારત વેપારમાં સહયોગ નથી કરતું. ભારત ઘણી વસ્તુઓ અમેરિકા વેચે છે પરંતુ અમારી પાસેથી ખરીદતું નથી. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનાર દેશ છે.”
ટ્રમ્પે ઉમેર્યું કે અમેરિકા હાલમાં ભારત સાથે ડીલના પ્રયાસો કરી રહ્યું છે અને અઠવાડિયાના અંત સુધીમાં નિર્ણય આવી શકે છે. સાથે જ તેમણે BRICS પર પ્રહાર કરતાં કહ્યું કે ભારત અમેરિકા વિરોધી જૂથ BRICSનો ભાગ છે અને “અમે ડોલર પર કોઈને હુમલો કરવા નહીં દઈએ.”
ભારત સરકારની પ્રતિક્રિયા: રાષ્ટ્રીય હિતની રક્ષા માટે પગલાં લેશું
ટ્રમ્પના ટેરિફના નિર્ણય બાદ નવી દિલ્હીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. ભારત સરકારે જણાવ્યું કે તેઓ ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે આકરા પગલાં ભરશે.
સરકારે સ્પષ્ટ કર્યું કે,
“અમારા ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોના કલ્યાણને સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે, જેમ કે અન્ય આર્થિક કરારોમાં કરવામાં આવ્યા છે.”
અમેરિકાની માંગ અને ભારતની અસ્વીકૃતિ
અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો તેમજ જિનેટિકલી મોડિફાઈડ પાકો માટે બજારો ખોલવા અને ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે આ ક્ષેત્રોમાં ટેરિફ સંપૂર્ણપણે દૂર અથવા ઘટાડવામાં આવે.
ભારતે આ માંગને નકારી છે કારણ કે આ પગલાંથી નાના ખેડૂતો પર નકારાત્મક અસર થઈ શકે છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પોતાની વસ્તી અને નાના ખેડૂતોના હિત માટે તેવા કોઈ કરારોમાં સંમત નહીં થાય.

Leave a Reply