Updated: Feb 15th, 2026
GS TEAM

Vaibhav Suryavanshi Will Not Appear in 10th Board Exam: બિહારના સમસ્તીપુર નિવાસી અને તાજેતરમાં પૂરી થયેલી અન્ડર-19 વિશ્વ કપેમાં શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં આવેલા યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે ક્રિકેટ નહીં પરંતુ શિક્ષણને લઈને વૈભવે નિર્ણય કર્યો છે કે, આ વર્ષે CBSE દ્વારા આયોજિત ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નહીં આપે. CBSE દ્વારા 17 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે અને 11 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન ટ્રેનિંગ, કેમ્પ અને વિભિન્ન ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેવાના કારણે છેલ્લી ઘડીએ વૈભવે પરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો છે.
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ સૂર્યવંશી!
મળતી માહિતી મુજબ, ક્રિકેટ પ્રવૃત્તિના કારણે વૈભવ સૂર્યવંશી ઘર અને સ્કૂલથી દૂર રહ્યો હતો. જેને લઈને તે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શક્યો ન હતો. મોડેસ્ટી સ્કૂલ તાજપુરના ડાયરેક્ટર આદર્શ કુમાર પિંટુએ જણાવ્યું હતું કે, વૈભવનું પરીક્ષા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને એડમિટ કાર્ડ પણ જાહેર થયું છે. જેમાં બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં નિર્ધારિત કરાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈભવના પિતા સંજીવ સૂર્યવંશી સાથે વાતચીત પછી એ નિર્ણય સામે આવ્યો હતો કે વ્યસ્ત કાર્યક્રમના કારણે આ વખતે તે પરીક્ષામાં સામેલ નહીં થઈ શકે. જોકે, હાલ વૈભવ સંપૂર્ણપણે ક્રિકેટ પર ફોકસ કરી રહ્યો છે અને આગામી ટૂર્નામેન્ટની તૈયારીમાં છે.
આ પણ વાંચો: IND vs PAK: પ્લેઈંગ-11માં મોટું સરપ્રાઈઝ આપશે ટીમ ઈન્ડિયા? પાકિસ્તાન 5 સ્પિનર્સ ઉતારે તેવી શક્યતા
ક્રિકેટ જગતમાં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટના ભવિષ્ય તરીકે બતાવવામાં આવી રહ્યો છે. તેણે તાજેતરમાં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની નીડર બેટિંગે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના ઘણા ખેલાડીઓને પ્રભાવિત કર્યા છે. હવે, ફેન્સ IPLમાં વૈભવની શાનદાર બેટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply