ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ, 1948માં મહત્વપૂર્ણ સુધારા કરતા ફેક્ટરીઓમાં રોજના કામના કલાકો 9થી વધારીને 12 કર્યા છે. તેમ છતાં સપ્તાહના કુલ કામના કલાકોની મર્યાદા અગાઉની જેમ 48 કલાક યથાવત્ રહેશે. આ ફેરફાર ફેક્ટરી (ગુજરાત સંશોધન) ઑર્ડિનન્સ 2025 દ્વારા કરવામાં આવ્યો છે, જે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારી વિભાગ દ્વારા 1 જુલાઈથી અમલમાં મૂકાયો છે.
સરકારના જણાવ્યા મુજબ, આ સંશોધનનો હેતુ ઉદ્યોગોમાં રોકાણ વધારવું અને રોજગારીની તકો ઊભી કરવી છે. નવા નિયમો અનુસાર કોઈ પણ કામદારે દિવસમાં મહત્તમ 12 કલાક સુધી કામ કરી શકે છે, જો કે આ માટે તેની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. વધારાના કામ માટે ભવિષ્યમાં પેઇડ હોલિડે આપવામાં આવશે.
ઓવરટાઇમના નિયમોમાં પણ બદલાવ
નવા સંશોધન અનુસાર, હવે કામદારો 6 કલાક સતત કામ કરી શકશે, જે અગાઉ 5 કલાક સુધી મર્યાદિત હતું. નિર્ધારિત કલાકો કરતા વધુ કામ કરનારા કર્મચારીઓને બેવડું વેતન ચૂકવવું ફરજિયાત રહેશે. ઉપરાંત, કામદારોને હવે દરેક ત્રિમાસિક ગાળામાં 125 કલાક સુધી ઓવરટાઇમ કરવાની મંજૂરી છે, પણ તેની પણ લેખિત સંમતિ જરૂરી રહેશે.
મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ, સુરક્ષા સાથે જોડાયેલા નિયમો પણ લાગુ
નવા ઓર્ડિનન્સ અંતર્ગત મહિલાઓને પણ સાંજના 7 વાગ્યા બાદથી સવારે 6 વાગ્યા સુધીની નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા લાગુ કરાઈ છે, જેમાં પરિવહન, સીસીટીવી દ્વારા દેખરેખ, આરામગૃહ અને સુરક્ષિત કાર્યસ્થળની વ્યવસ્થા રાખવાની શરત છે. મહત્વનું છે કે આ નાઇટ શિફ્ટમાં કામ કરવું સંપૂર્ણપણે સ્વઇચ્છાએ જ આધારિત રહેશે.
ગુજરાત સરકારના આ પગલાને ઉદ્યોગ જગતથી પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે કેટલાક કામદારોના હિતની વાત કરનારા જૂથો દ્વારા આમાં વિશ્લેષણાતમક અભિગમ અપનાવવાની જરૂરિયાત વ્યકત કરવામાં આવી છે.

Leave a Reply