મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ભોપાલના પૂર્વ નવાબ હમીદુલ્લાહ ખાનની મિલકત સંબંધિત વિવાદમાં મોટો નિર્ણય આપતાં ટ્રાયલ કોર્ટ દ્વારા વર્ષ 2000માં આપવામાં આવેલો ચુકાદો રદ કરી દીધો છે. હવે આ કેસની પુનઃસુનાવણી કરવાનો આદેશ આપતાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને એક વર્ષની અંદર નવો ચુકાદો આપવા માટે સૂચના આપી છે.
શું છે કેસ?
આ કેસમાં નવાબ હમીદુલ્લાહ ખાનના મોટા ભાઈના વંશજો — બેગમ સુરૈયા, કામરાતાજ રાબિયા સુલતાન અને અન્ય અરજદાર તરીકે જોડાયા છે. તેમણે ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આરોપ હતો કે ટ્રાયલ કોર્ટે ખોટી રીતે માન્યું કે નવાબની તમામ મિલકતો “ગાદી”નો ભાગ છે અને તેનો વારસો આપમેળે ગાદીના વારસદારને મળશે.
આ કેસમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી શર્મિલા ટાગોર, પૂર્વ ક્રિકેટર નવાબ મન્સૂર અલી ખાન પટૌદીના વંશજ સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને સબા સુલ્તાનને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજદારોએ મુસ્લિમ પર્સનલ લૉના આધારે મિલકતના યોગ્ય વિભાજનની માંગણી કરી છે.
કોર્ટનો નિર્ણય અને દલીલો
હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે મિલકતોનો વારસાના અધિકાર સાથે સંબંધ છે, નવાબના ગાદી સાથે નહીં. દરેક વારસદારને પોતાના હક્ક મુજબ ભાગ મળવો જોઈએ. કોર્ટે જણાવ્યું કે ટ્રાયલ કોર્ટનો પૂર્વ ચુકાદો વારસાના કાયદાઓને અવગણીને અપાયો હતો, તેથી તેને રદ કરી કેસની નવી સુનાવણી જરૂરી બની છે.
અગાઉથી ભોપાલમાં હતી વિવાદિત મિલકત
ઉલ્લેખનીય છે કે ભોપાલ શહેરમાં સૈફ અલી ખાન અને તેમના પરિવારની ઘણી મિલકતો હોવાનું માનવામાં આવે છે. આ મિલકતો અંગે છેલ્લા ઘણા વર્ષોથી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે, જેને હવે હાઇકોર્ટના આ નિર્ણયથી નવો વળાંક મળ્યો છે.
હવે ટ્રાયલ કોર્ટ ફરીથી આ કેસની સુનાવણી કરશે અને તમામ પક્ષકારોની દલીલો સાંભળીને આગળનો ચુકાદો આપશે. કોર્ટએ આ પ્રક્રિયા એક વર્ષની અંદર પૂર્ણ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપી છે.

Leave a Reply