ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ 18 દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ કરી પૃથ્વી પર વિજયી વાપસી કરી છે. તેઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા કેલિફોર્નિયાના તટે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરી ગયા. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:01 વાગ્યે થયેલું એ ઉતરાણ દેશ માટે ગૌરવની ક્ષણ બની.
ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાયુમંડળમાં 27,000 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રવેશ્યું હતું. વજનદાર ઘર્ષણ અને ઉંચા તાપમાનના કારણે તેનું તાપમાન લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. આ તીવ્ર તાપમાન દરમિયાન થોડી ક્ષણો માટે મિશન કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ એન્ટ્રી બાદ પેરાશૂટ સિસ્ટમના સહારે કેપ્સ્યુલને ધીમે ધીમે મહાસાગરમાં ઉતારવામાં આવ્યું હતું. રિકવરી ટીમ હોડી અને હેલિકોપ્ટર સાથે તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને યાત્રીઓનું મેડિકલ મૂલ્યાંકન માટે સ્થળાંતર કર્યું.
આઇસોલેશન માટે 10 દિવસનો સમયગાળો
અંતરિક્ષ યાત્રા બાદ તબીબી નિરીક્ષણ અનિવાર્ય હોવાથી શુભાંશુ અને તેમની ટીમ હવે 10 દિવસ માટે આઇસોલેશનમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યની તપાસ થશે અને અંતરિક્ષ યાત્રાના શારીરિક-માનસિક પરિણામોને ધ્યાનમાં રાખીને પૃથ્વી પરના વાતાવરણ માટે તેમને અનુરૂપ બનાવાશે.
શુભાંશુ શુક્લાની સફળ યાત્રા અને તેમના પૃથ્વી પરના સુરક્ષિત પરતફેર ભારત માટે નવી ઊંચાઈઓના દરવાજા ખોલતી ગૌરવભરેલી ઘટના બની છે.

Leave a Reply