એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી એક ફ્લાઈટ ટેક-ઓફના તત્કાલ પૂર્વે રદ કરી દેવી પડી હતી, કારણ કે વિમાનમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. માહિતી અનુસાર, પાયલટે રનવે પર વિમાન ૧૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું ત્યારે અનિચ્છનીય ખામી જણાતાં તાત્કાલિક બ્રેક લગાવ્યા હતા. અચાનક થંભે ગયેલું વિમાન મુસાફરો માટે ભયજનક અનુભૂતિ બની ગયું હતું, અને વિમાનમાં ઘબરાહટનો માહોલ સર્જાયો હતો.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટેકનિકલ ઇશ્યુને કારણે ફ્લાઈટ રદ કરવી પડી હતી, પણ તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
અન્ય એક ઘટના એર ઈન્ડિયાની કોચીથી મુંબઈ આવતી ફ્લાઈટની છે. ભારે વરસાદના કારણે વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને આશરે ૧૬થી ૧૭ મીટર દૂર અનપેવ્ડ વિસ્તારમાં પહોંચી ગયું હતું. વિમાન નિર્ધારિત માર્ગ છોડીને બહાર નીકળી ગયું હતું, પરંતુ પાયલટની ચપળતાથી વિમાનને નુકસાન વિના સુરક્ષિત રીતે નિયંત્રિત કરવામાં આવ્યું. આ ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
વિમાન ક્ષેત્રે આવી ઘટનાઓએ મુસાફરોમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે, પરંતુ પાયલટોની તાત્કાલિક પ્રતિક્રિયા અને સુરક્ષા પ્રક્રિયાઓને કારણે મોટી દુર્ઘટના ટળી છે.

Leave a Reply