‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન

‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.”

કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ

અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરાવવાનું કામ માત્ર ભાજપ સરકાર જ પૂર્ણ કરશે.

ઓપરેશન મહાદેવ અને સુરક્ષા દળોની બહાદુરી

ચર્ચા દરમિયાન તેમણે ઓપરેશન મહાદેવનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં મારી નાખ્યા.

“જેમ તેમણે નિર્દોષોના માથામાં ગોળી મારી હતી, તેવી જ રીતે સુરક્ષા દળોએ તેમની ખોપરી ઉડાવી દીધી,” શાહે કહ્યું.
તેમણે જણાવ્યું કે “હર હર મહાદેવ” ફક્ત ધાર્મિક નારો નથી, પરંતુ સુરક્ષા દળોનો ઉદઘોષ છે.

કટિબદ્ધતા: કાશ્મીરને આતંકવાદમુક્ત કરવું

અમિત શાહે સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ કાશ્મીરને સંપૂર્ણ રીતે આતંકવાદથી મુક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે હવે આતંકવાદીઓનો ખાત્મો કરવાનો સમય આવી ગયો છે અને સરકાર આ દિશામાં સતત કાર્યરત છે.

સેનાનાં શોર્યને સલામ

શાહે રાજ્યસભામાં જણાવ્યું કે 7 મેના રોજ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના 8 એરબેઝ અને એર ડિફેન્સ સિસ્ટમ્સને ધ્વસ્ત કર્યા.

“પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું અને તેના ડીજીએમઓએ અમારી ડીજીએમઓને ફોન કરીને હુમલો રોકવા વિનંતી કરી,” તેમણે જણાવ્યું.

કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર

અમિત શાહે પી. ચિદમ્બરમને નિશાન બનાવી જણાવ્યું કે તેઓ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાનો પુરાવો માંગતા હતા.

“જ્યાં સુધી પી. ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યાં સુધી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી ન હતી,” શાહે કહ્યું.
તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ માટે દેશની સુરક્ષા પ્રાથમિકતા નહીં, પરંતુ રાજકારણ છે.

Leave a Reply

Your email address will not be published.