સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ

સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ

ગુજરાત સરકાર એક બાજુ ક્રૂઝ ભારત મિશન હેઠળ રાજ્યના દરિયાકાંઠે ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહી છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલું ક્રૂઝ પ્રોજેક્ટ પણ હવે સી-પ્લેન જેવી દશા વેઠી રહ્યું છે. છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ સેવા બંધ છે અને હવે આ પ્રોજેક્ટ મરણપથારીએ છે.

સાબરમતી નદીમાં ચલાવાયેલું ક્રૂઝ લાંબા સમયથી બંધ છે. કારણ એવું છે કે નદીમાં ઊંડાણ ઘટી ગયું છે, માટી અને કાંપના સ્તર વધી ગયા છે. અટલ બ્રિજ અને મેટ્રો રેલના કામ દરમિયાન નદીમાં લગભગ 4,500 ડમ્પર માટી નાંખવામાં આવી, જેના પરિણામે આજે 9 ફૂટ જેટલો કાંપનો થર ઉભો થયો છે.

સરકાર અને AMCની બેદરકારી સામે આક્ષેપ

ક્રૂઝ સંચાલકોનો આક્ષેપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને માત્ર ક્રૂઝના વાર્ષિક ભાડાના રૂપમાં મળતા 55 લાખ રૂપિયાનું લાલચ છે, પરંતુ નદીની સફાઈ અથવા ક્રૂઝ સુવિધાની બાકી સમસ્યાઓ ઉકેલવામાં કોઈ રસ નથી. મળતી માહિતી પ્રમાણે, મોનસૂન દરમિયાન પાણી છોડી દેવાય છે પરંતુ આગોતરી જાણકારી આપતી નથી, જેના કારણે ક્રૂઝ સંચાલનમાં ખલેલ આવે છે. પરિણામે અત્યાર સુધીમાં ક્રૂઝ ઓપરેટરોએ કુલ 3.5 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

રિવરફ્રન્ટના વિકાસના દાવા તૂટી પડ્યા?

ગુજરાતને ક્રૂઝ હબ બનાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું સરકાર કહે છે, ત્યારે રિવરફ્રન્ટનો ક્રૂઝ હવે બંધ થવાના ખતરા સાથે છે. ચિંતાજનક વાત એ છે કે આ પહેલા જ સી-પ્લેન સેવા પણ સમારકામના બહાને બંધ થઈ ગઈ છે, અને હવે નક્કી નથી કે એ ફરી ક્યારે શરુ થશે.

હવે એર ટેક્સી યોજના પર નજર

રાજ્ય સરકાર હવે અમદાવાદથી કચ્છ-માંડવી વચ્ચે એર ટેક્સી સેવા શરૂ કરવા વિચારણા કરી રહી છે. આ અંગે સમીક્ષા કરવા માટે એક કમિટી પણ રચાઈ છે. પરંતુ શહેરી રિવરફ્રન્ટ પર જે પ્રોજેક્ટો એક પછી એક નિષ્ફળ જઈ રહ્યા છે તેને જોઈને નાગરિકો વાચક છે કે એ પહેલ પણ માત્ર કાગળ પર પૂરતી નહીં રહી જાય?

Leave a Reply

Your email address will not be published.