મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તોફાન મચાવી દીધું છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે, ખાસ કરીને પાટીદાર સમાજ અને ગુજરાતી સંગઠનો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
મોરબીના પાટીદાર યુવા સેવા સંઘે A ડિવિઝન પોલીસ મથકે આવેદનપત્ર આપી રાજ્યમાં રાજ ઠાકરેનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સમાજના આગેવાનો તથા નેતાઓએ રાજ ઠાકરેનાં નિવેદનને ‘અયોગ્ય’ ગણાવી તદ્દન નકાર્યા છે.
અમિત ચાવડાની પ્રતિક્રિયા
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “સરદાર પટેલ સમગ્ર ભારતના નેતા છે. જો રાજ ઠાકરે ગુજરાતની ધરતી પર આવી રાજનીતિ લાવવા પ્રયત્ન કરશે તો તેનું યોગ્ય પ્રતિસાદ મળશે.”
રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓ અંગે રાજકીય હેતુથી ટિપ્પણી કરવી યોગ્ય નથી. એ લોકોએ દેશ માટે બલિદાન આપ્યું છે.”
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામબાપાએ પણ કહ્યું કે, “21મી સદીમાં પ્રાંતવાદના મુદ્દાઓ ઉછાળવા નહીં જોઈએ. રાજ ઠાકરે જેવા જવાબદાર નેતાએ આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.”
ગુજરાતભરમાં વિવાદના કારણે રાજ ઠાકરેથી સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ તેમની ટિપ્પણીઓ અંગે આગળ શું કહે છે.

Leave a Reply