ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા.
સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા અને સત્તાવાર નિવાસસ્થાનની અંદર પોતાના પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યા હતા. હવે તેઓ સુરક્ષા એજન્સીઓને જાણ કરી ચૂક્યા છે કે સાંજે 5 વાગ્યે ગદાઈપુર ડીએલએફ ફાર્મ્સમાં સ્થિત ખાનગી નિવાસસ્થાનમાં શિફ્ટ થશે. ઘણા ઘરગથ્થુ સામાનનું સ્થળાંતર થઈ ગયું છે, જ્યારે થોડો સામાન હજી પણ સરકારી નિવાસસ્થાનના અંદરના એક ફ્લેટમાં રાખવામાં આવ્યો છે.
અભય ચૌટાલાએ પુષ્ટિ કરી કે ધનખડ તેમના ફાર્મહાઉસમાં રહેવા આવશે. તેમણે જણાવ્યું કે, “અમારા જૂના પારિવારિક સંબંધો છે, ધનખડે ઘર માગ્યું નહોતું, પણ મેં પોતે તેમને ઘર ઓફર કર્યું.” ધનખડની પત્ની ગત અઠવાડિયે જયપુર ગયા હતા. જણાવવું જરૂરી છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે, અને તે પહેલાં ધનખડે સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.
તેઓ ગત વર્ષના એપ્રિલ મહિનામાં આ નિવાસસ્થાનમાં રહેવા આવ્યા હતા. અત્યારે તેઓ છતરપુર એન્ક્લેવમાં રહેશે જ્યાં સુધી નવું સરકારી નિવાસસ્થાન ન મળે. ઉપરાંત, ગત અઠવાડિયે તેમણે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે રાજસ્થાન વિધાનસભા સચિવાલયમાં ફરીથી અરજી પણ કરી હતી.

Leave a Reply