બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરવામાં આવી છે અને તે અંગે તમામ પુરાવા ચૂંટણી પંચને આપવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેમના કહેવા મુજબ ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને લોકશાહી સાથે ચેડાં કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “વોટ ચોરી એટલે અધિકારની ચોરી, અનામતની ચોરી અને યુવાઓના ભવિષ્યની ચોરી.” મોદી સરકાર સામે નારેબાજી કરાવતા તેમણે જણાવ્યું કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તે જ લોકો હવે બંધારણની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ કોંગ્રેસ તેમને આવું કરવા નહીં દે.
ભાજપને પડકારતા રાહુલ ગાંધીએ કહ્યું, “સાંભળો, માધવપુરામાં અમે એટમ બોમ્બ બતાવ્યો હતો, હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડવાની તૈયારીમાં છીએ. તમારી વોટ ચોરીનું સત્ય આખા દેશને જણાવીશું.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને નિશાન બનાવતા કહ્યું કે તેમને ચોરી કરવાની ટેવ છે – ક્યારેક પૈસા ચોરે છે, તો ક્યારેક વોટ ચોરી કરે છે. તેમણે ચેતવણી આપી કે બિહારમાં પણ તેઓ ચૂંટણીમાં હેરાફેરી કરીને જીતવાનો પ્રયાસ કરશે, પરંતુ જનતા સાવચેત રહેશે.
આ સાથે જ આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ ભાજપ પર તીક્ષ્ણ પ્રહાર કરતાં કહ્યું કે બિહાર લોકતંત્રની જનની છે, અને ભાજપ લોકો ચૂંટણી પંચ સાથે મળીને લોકશાહી તથા બંધારણને ખતમ કરવા માગે છે. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ફેક્ટરી લગાવીને બિહારમાં વિજયની આશા રાખે છે તે શક્ય નથી અને બિહારની પ્રજા તેમને યોગ્ય પાઠ ભણાવશે.

Leave a Reply