વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો હુમલો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વૉટ ચોરી માત્ર ચૂંટણીમાં ગેરરીતિ નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. વૉટ ચોરી એટલે અધિકારો, આરક્ષણ, રોજગાર અને શિક્ષણના અવસરોની ચોરી. તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી ઉદાહરણ આપતાં પુછ્યું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં લગભગ સમાન મત મળવા છતાં, એક કરોડ નવા મતદારોના વોટ કેવી રીતે ભાજપના ખાતામાં ગયા? આ દર્શાવે છે કે ચૂંટણી પંચ અને ભાજપ મળીને વૉટ ચોરી કરી રહ્યા છે.
રાહુલ ગાંધી દ્વારા મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જે શક્તિઓએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તે જ શક્તિઓ આજે સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમના આગ્રહ પ્રમાણે આવું નહીં થવા દઈએ. તેમણે જણાવ્યું કે મતદાતા અધિકાર યાત્રાને સમગ્ર બિહાર અને દેશભરમાંથી અપાર સમર્થન મળ્યું છે.
તે જ સમયે, તેજસ્વી યાદવે જણાવ્યું કે, ભાજપ લોકશાહીને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહી છે, પરંતુ બિહારની 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જનતા તેની યોગ્ય જવાબ આપશે. યાત્રાના સમાપન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા.

Leave a Reply