વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીને લગતી અભદ્ર ટિપ્પણીઓ પર આકરો પ્રતિકાર કર્યો છે. બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ જણાવ્યું કે, “હાલમાં જ આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતા આપણું જીવન છે, આપણો સ્વાભિમાન છે. બિહાર જેવી સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતી ભૂમિ પર આવી ઘટના બનવી એ કલ્પના બહારની વાત છે.”
મોદીએ સ્પષ્ટ કર્યું કે, તેમની માતાનો રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો, તેમ છતાં તેમની નિંદા કરવામાં આવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ માત્ર તેમની માતાનો નહીં, પરંતુ દેશની દરેક માતા અને બહેનોનો અપમાન છે. તેમણે કહ્યું, “હું માફ કરી દઈશ, પરંતુ ભારતની ધરતી ક્યારેય આ અપમાન માફ નહીં કરે.”
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડના લોન્ચિંગની જાહેરાત પણ કરી, જે મહિલા ઉદ્યોગ સાહસિકોને ફંડ પ્રદાન કરવા માટે રચાયેલ છે. તેમણે મહિલાઓને સંબોધતાં કહ્યું કે, “મારી માતા હીરાબેન મોદીએ અમને ગરીબીમાંથી બહાર લાવવા અવિરત મહેનત કરી હતી. દેશની કરોડો માતાઓ પોતાના સંતાનો માટે જીવન સમર્પિત કરે છે. તે દેવીના સ્વરૂપ છે, અને જે લોકો માતાનો અપમાન કરે છે તે મહિલા વિરોધી માનસિકતાનો પરિચય આપે છે.”
મોદીએ આગ્રહ કર્યો કે, આરજેડી અને કોંગ્રેસે છઠ્ઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે આવી માનસિકતા ધરાવતા લોકોને સત્તા મળે તો મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

Leave a Reply