પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર

પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર

નવી દિલ્હી: પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે રાજ્યના 12 જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. 16 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પઠાણકોટ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે.

પંજાબ સરકારે પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને 3 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં રાહત માટે ટ્રેક્ટર-ટ્રોલીઓને કેમ્પમાં ફેરવવામાં આવ્યા છે. સૈન્ય અને SDRF ટીમો દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પંજાબ, જમ્મુ અને હિમાચલમાં 21 ટન રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેતીને પણ ભારે નુકસાન થયું છે, અંદાજે એક લાખ હેક્ટર જમીન પૂરમાં ગરકાવ થઈ છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ રહેશે. દેહરાદૂનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે હરિયાણામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામમાં ખાનગી અને સરકારી ક્ષેત્રે વર્ક ફ્રોમ હોમ માટે એડવાઇઝરી જાહેર થઈ છે.

દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં યમુના નદી ખતરનાક સપાટીએ પહોંચતા પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણાથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડાતા દિલ્હી સરકારે એલર્ટ જાહેર કર્યો છે. બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનના કારણે સાત લોકોના મોત થયા છે અને અનેક રસ્તાઓ બંધ થતા ટ્રાફિક જામ જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા સતત સાતમા દિવસે સ્થગિત રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.