ઓક્ટોબર 2024માં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 49 ગામોમાંથી માત્ર 30 ગામોને જ આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ બાકાત રાખવામાં આવ્યા છે.
આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે. લાઠીના રામપર સહિતના ગામોના ખેડૂતો સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે તમામ પીડિત ખેડૂતોને સહાય મળવી જોઈએ. આ મામલે ધારાસભ્ય જનક તળાવિયાએ રાજ્ય સરકારને પત્ર લખી બાકી રહેલા ગામોને પણ રાહત પેકેજનો લાભ મળે તે માટે રજૂઆત કરી છે.
કમોસમી વરસાદના કારણે રાજ્યના છ જિલ્લામાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે. સરકારના નિયમો અનુસાર, જે ખેડૂતોના પાકને 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે, તેમને સહાય આપવામાં આવશે.
સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને બે રીતે સહાય મળશે – સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ પ્રતિ હેક્ટર રૂ. 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી રૂ. 2,500, એમ મળીને પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય મળશે. સહાયમાં પ્રતિ ખાતા મહત્તમ બે હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

Leave a Reply