ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે.
તેમણે ઉમેર્યું કે ભારત અને જર્મની વચ્ચે રાજકીય, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને વેપાર ક્ષેત્રોમાં દાયકાઓથી મજબૂત સહયોગ રહ્યો છે અને આજે યોજાનારી ચર્ચા આ સંબંધોને વધુ મજબૂત બનાવશે.
જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલે જણાવ્યું કે, ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને વિસ્તૃત કરવા ઘણી શક્યતાઓ છે. તેમણે ઉમેર્યું કે સુરક્ષા સહયોગ, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરવાની વ્યૂહાત્મક સંભાવનાઓ ખુબજ મહત્વપૂર્ણ છે.
જયશંકરે તેમની મુલાકાતનું સ્વાગત કરતાં જણાવ્યું કે બેંગલુરુ અને નવી દિલ્હીમાં યોજાનારી મુલાકાત બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.
બેઠક દરમિયાન, બંને વડાઓએ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી, જે ભારત અને જર્મનીના ગાઢ સંબંધોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply