મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર

મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર

મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્ય મરાઠા સમાજના લોકોને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની તૈયારીને પગલે સરકારમાં આંતરિક વિખવાદના સંકેતો મળી રહ્યા છે. એનસિપીનાં વરિષ્ઠ મંત્રી છગન ભુજબળે આ નિર્ણયનો વિરોધ કરતાં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો એલાન કર્યો છે. બીજી તરફ, વિપક્ષ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે ઓબીસી નેતાઓની બેઠક છ સપ્ટેમ્બરના રોજ બોલાવી છે.

ભુજબળે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મુદ્દે કાનૂની સલાહ લઈ રહ્યા છે. “આ પ્રકારના નિર્ણયની અપેક્ષા ન હતી, તેથી મેં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અમે સરકારી પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છીએ અને કાનૂની સલાહ બાદ સ્પષ્ટ વલણ જાહેર કરીશું,” તેમ તેમણે જણાવ્યું. ભુજબળ ઓબીસી કેટેગરીમાં મરાઠાઓને અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે.

મરાઠા કાર્યકર મનોજ જરાંગેએ ભુજબળના વાંધા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “ભુજબળનો વિરોધ દર્શાવે છે કે જીઆરમાં કોઈ ખામી નથી. હાઈકોર્ટના અનેક વકીલોએ પણ જીઆર સાથે સહમતી દર્શાવી છે. જો જરૂરી પડશે તો સરકાર જીઆરમાં ફેરફાર કરી શકે છે.”

રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘના અધ્યક્ષ બબનરાવ તાવડેએ દાવો કર્યો કે આ પ્રસ્તાવથી ઓબીસી ક્વોટા પર કોઈ અસર નહીં થાય, તેમ છતાં તેઓ કાનૂની સલાહ લઈ રહ્યા છે અને જરૂર પડશે તો કોર્ટમાં પડકારાશે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે પણ જણાવ્યું કે, ઓબીસી નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક પેનલની રચના કરી છે જે મરાઠા સમાજના લોકોને કુણબી વારસાનો ઐતિહાસિક પુરાવો રજૂ કરે તો તેમને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપશે. સામાજિક ન્યાય અને વિશેષ સહાયતા વિભાગ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં હૈદરાબાદ ગેઝેટના આધાર પર દસ્તાવેજોની તપાસ કરી પાત્રતા નક્કી કરવાની જોગવાઈ છે. સમિતિ સુનિશ્ચિત કરશે કે દરેક દાવાની તપાસ પારદર્શક રીતે અને સમયસર થાય.

 

Leave a Reply

Your email address will not be published.