મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહારાજા યશવંતરાવ સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. હોસ્પિટલના NICU વોર્ડમાં બે નવજાત બાળકો ઉંદરો કરડવાથી મૃત્યુ પામ્યા હોવાના આરોપો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો દબાણ વધ્યું છે. તેમણે આ ઘટનાને હત્યા ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ પોતાના વોટ્સએપ ચેનલ પર પોસ્ટમાં કહ્યું, “મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ઉંદરના કરડાથી બે નવજાત બાળકોના મોત થયાં. આ કોઈ દુર્ઘટના નથી, હત્યા છે. ઘટના એટલી ભયાનક, અમાનવીય અને અસંવેદનશીલ છે કે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય છે.” તેમણે સરકારની બેદરકારીને પણ કડક શબ્દોમાં નિશાન બનાવ્યું અને કહ્યું કે ગરીબો માટે સરકારી હોસ્પિટલો હવે જીવનદાતા ન રહી, પરંતુ મોતના અડ્ડા બની ગઈ છે.
રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું, “જ્યારે તમે નવજાત બાળકોની સુરક્ષા પણ કરી શકતા નથી, ત્યારે સરકાર ચલાવવાનો શું અધિકાર છે? દોષિતોને સજા ન આપી તંત્ર દર વખતની જેમ જવાબદારીમાંથી છટકી જાય છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યાદવને શરમથી માથું ઝુકાવવું જોઈએ.”
પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીને કારણે બાળકોના મૃત્યુનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજ્ય સરકાર અને માનવાધિકાર પંચે નોંધ લીધેલી છે અને દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે. ઘટના અંગે આરોગ્ય વ્યવસ્થાની ગંભીર ખામીઓને લઈને લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

Leave a Reply