હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે મકાન ધરાશાયી થઈ ગયા હતા અને કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં એક મૃતદેહ મળી આવ્યો છે, જેની ઓળખ જમ્મુ-કાશ્મીરના કંગન શ્રીનગરના રહેવાસી તરીકે થઈ છે. ત્રણ લોકોને જીવતા બહાર કાઢી તેમને પ્રાદેશિક હોસ્પિટલ કુલ્લુ ખસેડવામાં આવ્યા છે. કુલ્લુ સદર ધારાસભ્ય સુંદર સિંહ ઠાકુર તથા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ધરાશાયી મકાનમાં ત્રણ રૂમમાં સાત લોકો રહેતા હતા. એક વ્યક્તિએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો, જ્યારે બાકી લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હાલમાં પાંચ લોકો હજુ પણ દટાયેલા છે. બધા જ લોકો જમ્મુ-કાશ્મીરના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સતત વરસતા વરસાદને કારણે બચાવ કામગીરીમાં મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે. ઘટનાસ્થળે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનર તોરુ એસ. રવિશ અને એસડીએમ નિશાંત ઠાકુરે સ્થળની મુલાકાત લીધી હતી. આ દુર્ઘટનામાં એક સ્થાનિક મહિલા પણ દટાઈ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અખાડા વિસ્તારમાં ગઈકાલે પણ ભૂસ્ખલનની એક ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. સતત વરસાદ અને ધરાશાયીના કારણે વિસ્તરમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

Leave a Reply