નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.”
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા જેવા દરો પર કામ કરી રહ્યું છે, જેનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST આવકમાં કથિત નુકસાન અંગે તેમણે કહ્યું કે, “વિવિધ આંકડાઓ બહાર આવી રહ્યા છે, પરંતુ અમે અમારી પાસેના સચોટ ડેટા પર આધાર રાખીએ છીએ.”
56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. સરકારે GSTના દરોને તર્કસંગત બનાવીને બે ટેક્સ સ્લેબ – 12% અને 28% – નાબૂદ કર્યા છે. હવે માત્ર 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રહેશે. આ સાથે જ કેટલીક વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સુપર લક્ઝરી ગુડ્સ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ઝરદા, ખાંડવાળા કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટેના વિમાનોનો સમાવેશ થાય છે.
આ સુધારાઓથી રોજિંદી વપરાશની વસ્તુઓ વધુ સસ્તી થઈ છે. હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પરનો GST 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તે જ રીતે માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકોની બોટલ, નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
સરકારનું માનવું છે કે આ પગલાંથી સામાન્ય માણસ, MSME, ખેડૂતો અને મધ્યમ વર્ગને સીધો લાભ મળશે, સાથે સાથે અર્થતંત્રમાં વપરાશ અને વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળશે.

Leave a Reply