નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને તેને “દરેક ભારતીય માટે દિવાળી ગિફ્ટ” તરીકે સંબોધ્યો. તેમણે કહ્યું કે આગામી પેઢીના GST સુધારા સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.
PM મોદીએ એક X પોસ્ટમાં જણાવ્યું: “મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં GSTમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે દરો અને પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવાનો અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયત્નોથી GST કાઉન્સિલે દર ઘટાડા અને સુધારાઓ અંગે સર્વસંમતિથી નિર્ણય લીધો છે. “આ નિર્ણયથી સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો ફાયદો થશે. વ્યાપક સુધારાઓ નાગરિકોના જીવનમાં સુધારો લાવશે અને ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે,” એમ તેમણે કહ્યું.

Leave a Reply