ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ

ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી કે પહેલી નજરે એવુ લાગી રહ્યું છે કે મોટા પાયે ગેરકાયદે વૃક્ષોનું નિકંદન થયું છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી પરિસ્થિતિનું કારણ જાણવા સુચના આપી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવનો સંપર્ક કરી વિગતવાર માહિતી રજૂ કરશે. તેમણે કહ્યું કે, “અમે પ્રકૃતિ સાથે એટલો મોટો હસ્તક્ષેપ કર્યો છે કે હવે તે આપણને નુકસાન પહોંચાડી રહી છે,” જેના પર CJIએ પણ સહમતિ વ્યક્ત કરી.

પૂરના વીડિયોમાં હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં વૃક્ષોના થડ વહેતા જોવા મળ્યા હતા. અદાલતે આ દ્રશ્યોને ગંભીર ગણાવતા જણાવ્યું કે પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારને પણ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ, વાદળ ફાટવાના બનાવ અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાઈ ગયું છે. સેકડો લોકોનાં મોત થયા છે અને અનેક વિસ્તારોમાં સંકટની પરિસ્થિતિ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ માટે પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.